*માનવ સંસાધન વિકાસ મંત્રાલય*
*CBSE બોર્ડની પરીક્ષાઓ અંગેનો નિર્ણય*
હાલમાં ઉભી થયેલી કોરોનાની સ્થિતિને અનુલક્ષીના વિવિધ સ્તરો માટે યોજવામાં આવનારી પરીક્ષાઓની સમીક્ષાના સંદર્ભે આદરણીય પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’, પ્રધાનમંત્રીના અગ્રસચિવ, કેબિનેટ સચિવ, શાળા અને ઉચ્ચ શિક્ષણ સચિવો અને અન્ય ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા.
પ્રધાનમંત્રીએ પુનરુચ્ચાર કર્યો હતો કે, સરકાર માટે વિદ્યાર્થીઓની સ્વાસ્થ્ય સુખાકારી સર્વોપરી પ્રાથમિકતાએ રહેવી જોઇએ. તેમણે એવું પણ કહ્યું હતું કે, કેન્દ્ર એ બાબતને ધ્યાનમાં રાખશે કે વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ હિત જળવાય અને સુનિશ્ચિત કરશે કે, તેમના શૈક્ષણિક હિતોને કોઇ નુકસાન ન પહોંચે તેની સાથે સાથે આરોગ્યની પણ કાળજી લેવામાં આવે.
આવતા મહિને યોજાનારી ધોરણ X અને XIIની પરીક્ષાઓનું પૂર્વાવલોકન આપવામાં આવ્યું હતું. CBSE દ્વારા ધોરણ X અને XII માટે બોર્ડની પરીક્ષા 4 મે 2021થી શરૂ કરવાનું અગાઉ નિર્ધારિત કરવામાં આવ્યું હતું. દેશમાં મહામારીની પરિસ્થિતિમાં સંખ્યાબંધ રાજ્યોમાં કોવિડ-19ના પોઝિટીવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે અને કેટલાક રાજ્યો અન્યની સરખામણીએ વધારે અસરગ્રસ્ત છે. આવી પરિસ્થિતિમાં, 11 રાજ્યોમાં શાળાઓ બંધ કરવામાં આવી છે. રાજ્ય શિક્ષણ બોર્ડ્સથી વિપરિત, CBSE સમગ્ર ભારતમાં વ્યાપ ધરાવે છે અને તેથી, આખા દેશમાં એકસાથે પરીક્ષાઓનું આયોજન કરવું આવશ્યક છે. મહામારીની વર્તમાન પરિસ્થિતિ અને શાળાઓ બંધ રહેતી હોવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અને વિદ્યાર્થીઓની સલામતી તેમજ સ્વાસ્થ્ય સુખાકારીને અનુલક્ષીને, નીચે ઉલ્લેખ કરેલા નિર્ણયો લેવામાં આવ્યા છે:
ધોરણ XII માટે 4 મેથી 14 જૂન 2021 દરમિયાન યોજાનારી બોર્ડની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. આ પરીક્ષાઓ પછીના સમયમાં લેવામાં આવશે. 1 જૂન 2021ના રોજ બોર્ડ દ્વારા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને તે અનુસાર વિગતો પૂરી પાડવામાં આવશે. પરીક્ષાઓ શરૂ થવાના ઓછામાં ઓછા 15 દિવસ પહેલાંથી સૂચના આપી દેવામાં આવશે.
ધોરણ X માટે 4 મેથી 14 જૂન 2021 દરમિયાન યોજનારી બોર્ડની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. ધોરણ X બોર્ડના પરિણામો બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી હેતુલક્ષી કસોટીના આધારે તૈયાર કરવામાં આવશે. જો કોઇપણ ઉમેદવાર તેને/તેણીને આ પ્રમાણે આપવામાં આવેલા ગુણથી સંતુષ્ટ ના હોય તો, જ્યારે પણ પરીક્ષાઓ યોજવા માટે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે તેમને પરીક્ષામાં બેસવાની તક આપવામાં આવશે.
No comments:
Post a Comment